શ્રી સત્ય નારાયણ ગોયન્કાપૃષ્ઠભૂમિ
શ્રી ગોયન્કાજીનો જન્મ મ્યમાંમાં (બર્મામાં) થયો. ત્યાંના રહેવાસ દરમ્યાન સૌભાગ્યથી તેઓ સયાજી ઉ બા ખિનના સમ્પર્કમાં આવ્યા અને એમનની પાસેથી વિપશ્યનાનું પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. ચૌદ વર્ષ સુધી પોતાના ગુરુદેવ પાસેથી પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યા પછી શ્રી ગોયન્કાજી ભારત આવ્યા અને ૧૯૬૯માં વિપશ્યના શીખવવાનું શરુ કર્યું. જાતીયતા અને સાંપ્રદાયિકતાથી પ્રભાવિત ભારતમાં શ્રી ગોયન્કાજીની શિબિરોમાં સમાજના બધા સ્તરના હજારો લોકો સમ્મેલિત થયેલા છે. આજે વિશ્વભરમાં લગભગ ૧૪૦ દેશોના લોકો વિપશ્યના શિબિરોમાં ભાગ લઈને લાભાન્વિત થતા હોય છે. શ્રી ગોયન્કાજીએ ભારત અને વિદેશોમાં ૩૦૦થી વધારે શિબિરોનું સંચાલન કર્યું છે અને કેટલાય હજારો લોકોને વિપશ્યના શીખવી છે. શિબિરોની વધતી માંગને જોઈને ૧૯૮૨માં તેઓએ સહાયક આચાર્ય નિયુક્ત કરવાનું શરુ કર્યું. તેઓના માર્ગદર્શન નીચે ભારત, કેનેડા, અમેરિકા, ઔસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ, ફ્રાન્સ, સ્પૈન, બેલ્જીયમ, ઇંગ્લેન્ડ, જર્મની, જાપાન, તૈવાન, શ્રીલંકા, મ્યમાં (બર્મા), થાઈલેન્ડ, નેપાલ, ઈરાન, મેક્સિકો, બ્રાઝિલ, આર્જેન્ટીના, સાઉથ આફ્રિકા, મંગોલીયા આદિ કેટલાય દેશોમાં વિપશ્યના કેન્દ્રોની સ્થાપના થયેલી છે. આજે આચાર્ય ગોયન્કાજી જે વિપશ્યના શીખવાડે છે, એ વિદ્યાની લગભગ ૨૫૦૦ વર્ષ પૂર્વે ભારતમાં ભગવાન બુદ્ધે પુન: શોધ કરી હતી. ભગવાન બુદ્ધે ક્યારેય પણ સાંપ્રદાયિક શિક્ષા નથી આપી. એમણે ધર્મ (ધમ્મ (Dhamma)) ની શિક્ષા આપી છે કે જે સાર્વજનીન છે. વિપશ્યના સાંપ્રદાયિકતાવિહિન વિદ્યા છે. આ જ કારણસર આ વિદ્યા વિશ્વભરની બધી પૃષ્ઠભુમીઓના લોકોને આકર્ષિત કરે છે, ભલેને પછી તે કોઈ પણ સંપ્રદાયના હોય, કે પછી કોઈ સંપ્રદાયમાં માનતા પણ ન હોય. યુનોમાં શાંતિ શિખર વાર્તા
આચાર્ય ગોયન્કાજીને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ન્યુયોર્કના જનરલ એસેમ્બલી હોલમાં આયોજિત સહસ્રાબ્દી વિશ્વ શાંતિ સંમેલનમાં વિશ્વના ગણમાન્ય આધ્યાત્મિક અને ધાર્મિક નેતાઓની સાથે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ૨૯ ઓગસ્ટ ૨૦૦૦ ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ કોફી અન્નાને આ સંમેલનનું ઉદઘાટન કર્યું હતું. શ્રી સત્ય નારાયણ ગોયન્કાજીનું શાંતિ સંમેલનને સંબોધન
બિલ હિગિન્સ
ન્યુયોર્ક — આચાર્ય ગોયન્કાજીએ સહસ્રાબ્દી વિશ્વ શાંતિ સંમેલનના પ્રતિનિધિયોને રાષ્ટ્રસંઘના જનરલ એસેમ્બલી હોલમાં સંબોધિત કર્યા કે જ્યાં પહેલી વાર આધ્યાત્મિક અને ધાર્મિક નેતાઓનું સંમેલન થયું હતું. આચાર્ય ગોયન્કાજીએ કોન્ફ્લીક્ટ ટ્રાન્સફોર્મેશન નામના સત્રમાં ભાષણ આપ્યું. આ સત્રમાં ધાર્મિક સમન્વય, સહિષ્ણુતા અને શાંતિપૂર્વ સહ-અસ્તિત્વના વિષયો પર ચર્ચા થઈ હતી. "એક સંપ્રદાયમાંથી બીજા સંપ્રદાયમાં રૂપાંતરણની ચર્ચા-વિચારણાને બદલે" ગોયન્કાજીએ કહ્યું, "એ વધારે લાભદાયી થશે કે આપણે લોકોને દુઃખમાંથી સુખની તરફ, બંધનમાંથી મુક્તિની તરફ, ક્રૂરતાથી કરુણાની તરફ લઈ જઈએ." ગોયન્કાજીએ સંમેલનના બપોરના સત્રમાં લગભગ બે હજાર પ્રતિનિધિઓ અને પ્રેક્ષકોની હાજરીમાં આ ભાષણ આપ્યું. આ સત્ર સી. એન. એન. ના સંસ્થાપક ટેડ ટર્નરના ભાષણની પછી હતું. શિખર સંમેલનનો વિષય વિશ્વ શાંતિ છે, એ વાતને ધ્યાનમાં રાખીને ગોયન્કાજીએ એ વાત પર ઘણો ભાર મુક્યો કે વિશ્વમાં શાંતિ ત્યાં સુધી સ્થાપિત નહી થઈ શકે જ્યાં સુધી વ્યક્તિઓની અંદર શાંતિ નહી હોય. "વિશ્વમાં શાંતિ ત્યાં સુધી સ્થાપિત નહી થઈ શકે જ્યાં સુધી વ્યક્તિઓના મનમાં કોર્ધ અને ધ્રુણા છે. મૈત્રી અને કરુણા ભર્યા હ્રદયથી જ વિશ્વમાં શાંતિ સ્થાપિત કરી શકાશે." શિખર સંમેલનનું એક મહત્વપૂર્ણ પાસું વિશ્વમાં સાંપ્રદાયિક લડાઈ-ઝગડા અને તણાવ ઓછા કરવાનું છે. આ કામને સંબંધિત ગોયન્કાજીએ કહ્યું કે જ્યાં સુધી અંદર ક્રોધ અને દ્વેષ છે, ત્યાં સુધી ભલેને પછી ઈસાઈ હોય, હિંદુ હોય, મુસલમાન હોય કે બૌદ્ધ હોય, દુખી જ થશે. તાળીયોના ગડગડાટની વચમાં એમણે કહ્યું, "જેના હ્રદયમાં શુધ્ધ પ્રેમ અને કરુણા છે, એ આંતરિક સ્વર્ગીય સુખનો અનુભવ કરી શકે છે. આ નિસર્ગનો નિયમ છે, ભલેને પછી કોઈ કહે કે આ ઈશ્વરની ઈચ્છા છે." વિશ્વના પ્રમુખ ધાર્મિક નેતાઓની આ સભામાં એમણે કહ્યું, "આપણે બધા સંપ્રદાયોના સમાન તત્વો પર ધ્યાન આપીએ, આ તત્વોને મહત્વ આપીએ. મનની શુધ્ધતાને મહત્વ આપીએ કે જે બધા સંપ્રદાયોનો સાર છે. આપણે ધર્મના એ અંગને મહત્વ આપીએ અને ઉપરની છાલને — સાંપ્રદાયિક કર્મકાંડ, પર્વ-ઉત્સવ, માન્યતાઓ — નજરથી દૂર કરીએ." પોતાના પ્રવચનના સારાંશમાં ગોયન્કાજીએ સમ્રાટ અશોકના એક શિલાલેખને વાંચી સંભળાવ્યો કે જેમાં અશોકે કહ્યું છે કે, "કેવળ પોતાના ધર્મનું સમ્માન અને બીજાના ધર્મનું અસમ્માન નહી કરવું જોઈએ. એના બદલે બીજા ઘણા કારણસર બીજાના ધર્મનું સમ્માન કરવું જોઈએ. આમ કરવાથી પોતાના ધર્મની વૃધ્ધીમાં તો મદદ કરીએ જ છીએ પણ બીજાના ધર્મની પણ સેવા કરતા હોઈએ છીએ. આમ નહી કરીએ તો પોતાના ધર્મની કબર તો ખોદીશું જ પણ સાથે બીજાના ધર્મને પણ હાનિ પહોંચાડીશું. ભેગા મળીને રહેવાનું જ હિતાવહ છે. બીજાના ધર્મોનો જે ઉપદેશ હોય, એ બધા સાંભળે અને સાંભળવા માટે ઉત્સુક બને." સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ કોફી અન્નાને આશા પ્રકટ કરીકે આ શિખર પરિષદમાં એકત્ર થયેલા વિશ્વના પ્રમુખ આધ્યાત્મિક અને ધાર્મિક નેતાઓની શાંતિ માટેની એકત્રિત પોકાર નવી સહસ્રાબ્દીમાં શાંતિ વધારશે. આચાર્ય ગોયન્કાજીનું સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પ્રવચનવિશ્વ શાંતિ માટે આંતરિક શાંતિ આવશ્યકવિશ્વ શાંતિ માટે આંતરિક શાંતિ આવશ્યક, ગોયન્કાજીનું અંગ્રેજીમાં પ્રવચન - Real Video Format ૨૯ ઓગસ્ટ ૨૦૦૦ ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘના જનરલ એસેમ્બલી હોલમાં સહસ્રાબ્દી વિશ્વ શાંતિ સંમેલનના પ્રતિનિધિઓની હાજરીમાં આચાર્ય ગોયન્કાજીએ આપેલા પ્રવચનનો ગુજરાતીમાં અનુવાદ મિત્રો, આધ્યાત્મિક અને ધાર્મિક જગતના નેતાઓ! આજે આપણે સૌને એકત્ર થઈને માનવતાની સેવા કરવાનો એક ઉત્તમ અવસર ઉપલબ્ધ થયોં છે. ધર્મ જો એકતા લાવે તો જ ધર્મ છે, ફાટફૂટ પાડે તો એ ધર્મ નથી. આજે અહીં કન્વર્ઝનના પક્ષમાં બહુ ચર્ચા થઈ. હું કન્વર્ઝનના પક્ષમાં છું, વિરોધમાં નથી. પરંતુ એક સંપ્રદાયમાંથી બીજા સંપ્રદાયમાં નહીં, પણ એના બદલે કન્વર્ઝન દુઃખથી સુખમાં, બંધનથી મુક્તિમાં, ક્રૂરતાથી કરુણામાં થવું જોઈએ. આજે આવા જ પરિવર્તનની જરૂરિયાત છે અને આ કારણગત આ મહાસભામાં પ્રયાસ કરવાનો છે. પ્રાચીન ભારતે વિશ્વની સમગ્ર માનવતાને શાંતિ અને સામંજસ્યનો સંદેશ આપ્યો. પણ માત્ર એટલું જ નહી. શાંતિ અને સામંજસ્ય પ્રાપ્ત કરવાનો ઉપાય પણ બતાવ્યો, વિધિ પણ આપી. મને એમ લાગે છે કે માનવ સમાજમાં જો સાચેમાં શાંતિ સ્થાપિત કરવી હોય, તો આપણે હરએક વ્યક્તિને મહત્વ આપવું પડશે. જો હરએક વ્યક્તિના મનમાં શાંતિ નહી હોય તો વિશ્વમાં વાસ્તવિક શાંતિ કેવી રીતે આવશે? જો મારું મન વ્યાકુળ હશે, હંમેશા ક્રોધ, વેર, દુર્ભાવના અને દ્વેષથી ભરેલું હશે, તો હું વિશ્વને શાંતિ કેવી રીતે પ્રદાન કરી શકું? આ કરી જ નહી શકાય કારણકે સ્વયં મારામાં શાંતિ નથી. એટલે જ સંતોએ અને પ્રબુદ્ધોએ કહ્યું છે કે, "શાંતિ પોતાની અંદર શોધો." પોતાની અંદર સ્વયં નિરીક્ષણ કરીને જોવાનું છે કે શું સાચેમાં મારામાં શાંતિ છે. વિશ્વના બધા સંતો, સત્પુરુષો અને મુનિઓએ આ જ સલાહ આપેલી છે - પોતે પોતાની જાતને જાણો. એટલે કે કેવળ બુધ્ધીના સ્તર પર નહી, પણ જયારે પોતાની અનુભૂતિના સ્તર પર પોતાના વિષેની સચ્ચાઈને જાણીશું ત્યારે જીવનની સમસ્યાઓનું સ્વત: સમાધાન થતું જશે. આમ કરવાથી વ્યક્તિ સર્વવ્યાપી નિસર્ગના નિયમને, કુદરતના કાનૂનને, કે પછી કહો કે ઈશ્વરની ઈચ્છાને સમજવા લાગતો હોય છે. આ નિયમ બધાને લાગુ પડે છે. જો હું પોતાની અંદર નિરીક્ષણ કરીશ તો જોઇશ કે જેવો મનમાં કોઈ મેલ જાગે છે, તત્પર શરીરમાં એની પ્રતિક્રિયા અનુભુત થવા લાગે છે. શરીર ગરમ થઈ જાય છે, બળતરા થવા લાગે છે, ધડકન વધી જાય છે, તણાવ અનુભવાય છે. હું વ્યાકુળ થઈ જાઉં છું. અંદર મેલ જગાવીને તણાવ ઉત્પન્ન કરું છું તો પોતાની વ્યાકુળતા પોતાના સુધી જ સીમિત નથી રાખતો. એને બીજાઓને પણ વ્હેચું છું. પોતાની આસપાસનું વાતાવરણ એટલું તનાવપૂર્ણ બનાવી દઉં છું કે જે મારા સંપર્કમાં આવે તે પણ વ્યાકુળ થઈ જાય છે. હું ભલેને કેટલી સુખ-શાંતિની વાતો કરું, મારી અંદર શું થઈ રહ્યું છે, એ શબ્દોથી અધિક મહત્વપૂર્ણ છે. અને જો મારું મન નિર્મળ હોય તો પ્રકૃતિનો બીજો નિયમ કામ કરવા માંડે છે. જેવું મારું મન નિર્મળ થાય, આ કુદરત કે ઈશ્વર મને પુરસ્કાર આપવા માંડે છે. મને શાંતિનો અનુભવ થાય છે. આ હું પોતાની અંદર સ્વયં જોઈ શકું છું. કોઈ ભલે કોઈ પણ સંપ્રદાય, પરંપરા કે દેશના હોય, જયારે તે નિસર્ગના નિયમનો ભંગ કરી મનમાં મેલ જગાવે છે તો દુઃખી થતા હોય છે. કુદરત સ્વયં દંડ આપતી હોય છે. કુદરતના કાનુનનો ભંગ કરનાર તત્કાળ નારકીય યાતનાનો અનુભવ કરતા હોય છે. આ સમયે નારકીય દુઃખના બીજ વાવીએ છીએ, તો મૃત્યુ પછી પણ નારકીય દુઃખ જ મળશે. એજ રીતે, જો શું મનને શુધ્ધ રાખું, મૈત્રી અને કરુણાથી ભરું તો હમણાં પણ પોતાની અંદર સ્વર્ગીય સુખ ભોગવતો હોઉં છું અને આ બીજ મર્યા પછી પણ સ્વર્ગીય સુખ જ લાવશે. હું પોતાને ભલે હિંદુ કહું, ઈસાઈ, મુસ્લિમ, બૌદ્ધ, જૈન કે બીજું કંઈ પણ કહું કોઈ ફરક નથી પડતો. મનુષ્ય મનુષ્ય છે, મનુષ્યનું માનસ મનુષ્યનું માનસ છે. આ રીતે કન્વર્ઝન થવું જ જોઈએ – મનની અશુધ્ધતાનું, મનની અશુધ્ધતામાં. આ કન્વર્ઝન લોકોમાં આશ્ચર્યજનક પલટો લાવશે. આ કોઈ જાદુ કે ચમત્કાર નથી, પણ પોતાની અંદર શરીર અને ચિત્તના પારસ્પરિક સંસ્પર્શને બરાબર રીતે જાણવાનું પરિણામ છે, જે એક વિશુધ્ધ વિજ્ઞાન છે. કોઈ પણ અભ્યાસ કરીને સમજી શકે છે કે મન કઈ રીતે શરીરને પ્રભાવિત કરતું હોય છે અને શરીર કઈ રીતે મનને પ્રભાવિત કરતું હોય છે. ઘણી ધીરજની સાથે જયારે આનું નિરીક્ષણ કરતાં જઈએ છીએ તો નિસર્ગના નિયમ ઘણા સ્પષ્ટ થતા જતા જોય છે, કે જયારે પણ આપણે ચિત્તમાં મેલ જગાવીએ છીએ, દુઃખી થઈએ છીએ અને જેવું ચિત્ત મેલથી વિમુક્ત થાય છે, શાંતિ-સુખનો અનુભવ કરવા લાગીએ છીએ. આત્મ નિરીક્ષણની આ વિધીનો અભ્યાસ કોઈ પણ કરી શકે છે. પ્રાચીન કાળમાં ભગવાન બુદ્ધ દ્વારા શીખવવામાં આવેલી આ વિદ્યા વિશ્વભરમાં ફેલાઈ હતી. આજે પણ વિભિન્ન વર્ગોના, સંપ્રદાયોના લોકો આવીને આ વિધા શીખતા હોય છે અને એ જ લાભ પ્રાપ્ત કરતા હોય છે. ભલે એ પોતે પોતાને હિંદુ, મુસલમાન, બૌદ્ધ, ઈસાઈ કહીને બોલાવ્યા કરે, આ નામોથી કોઈ ફરક પડતો નથી. મનુષ્ય મનુષ્ય છે, ફરક એ વાતથી પડશે કે જયારે તે અભ્યાસ દ્વારા વાસ્તવમાં ધાર્મિક બને, મૈત્રી અને કરુણાથી પરિપૂર્ણ થઈ જાય. એમના કર્મો સ્વયં એમના માટે અને બીજાના માટે હિતકારી બને. જયારે કોઈ વ્યક્તિ પોતાની અંદર શાંતિ જગાવે છે, તો એની આસપાસનું આખું વાતાવરણ શાંતિના તરંગોથી ભરાઈ જાય છે. એના સંપર્કમાં જે કોઈ આવે છે તે પણ શાંતિ અનુભવે છે. આ માનસિક પરિવર્તન જ સાચું પરિવર્તન છે, સાચું કન્વર્ઝન છે. આવશ્યકતા આ વસ્તુની છે. અન્યથા બધા બાહ્ય પરિવર્તન નિરર્થક છે. હું વિશ્વને ભારતનો એક અણમોલ સંદેશ વાંચી સંભળાવાની અનુમતિ માંગું છું. આદર્શ શાસક સમ્રાટ અશોકના ૨૩૦૦ વર્ષ પૂર્વે પથ્થર પર કોતરેલા આ શબ્દો બતાવે છે કે શાસન કેવી રીતે કરવું જોઈએ.
આ સંદેશ આપણને સૌને ગંભીર ચેતવણી છે કે જો કોઈ વ્યક્તિ પોતાના સંપ્રદાયના પ્રતિ અતિ શ્રધ્ધાનો માર્યો બીજાના સંપ્રદાયની નિંદા કરીને એવું વિચારતો હોય કે આમ કરવાથી એ પોતાના સંપ્રદાયની શાન વધારે છે, તો એ પોતાના કૃત્યોથી પોતાના જ સંપ્રદાયની હાનિ કરતો હોય છે. અંતમાં અશોક સર્વવ્યાપી ધર્મનિયામતાનો સંદેશ પ્રસ્તુત કરે છે. "આપસમાં મળીને રહેવું હિતાવહ છે. ઝગડો નહી કરવો. બીજાના સંપ્રદાયોનો જે ઉપદેશ છે તે દરેક લોકો સાંભળે અને સાંભળવા માટે ઉત્સુક પણ રહે." જયારે અસ્વીકાર અને નિંદા કરવાના બદલે આપણે દરેક સંપ્રદાયના સારને મહત્વ આપીશું ત્યારે જ સમાજમાં વાસ્તવિક શાંતિ અને સૌમનસ્ય સ્થાપિત થશે. સર્વનું મંગળ થાય. હોમ |